સોમવાર, 25 જૂન, 2018

આજે શું ભણ્યાં ?

શુભ સોમવાર...
                 આજે થોડું જુદી રીતે ભણવાનું થયું. સવારે ૦૭:૦૦ વાગે કૉલેજમાં બધાં ભેગા થયાં અને એક-એકની રાહ જોતાં જોતાં મોડાં-મોડાં પણ ઉપાડ્યાં અને પહોંચ્યાં રામપરા. રામપરાના પાદરમાં આવેલ શિવમંદિર, ગામમાં આવેલ રામજીમંદિર અને ઠાકરમંદિરની સફાઈ કરી. જો ખુલ્લી હોત તો પંચાયતની પણ કરવી હતી. પછી તો રામપરાની ઊભી બજાર લીધી બાનમાં. અરધી બજાર વાળીને સાફ કરીને કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરી આવ્યાં. ગામલોકો ખાસ ન નડ્યાં. અમુકે પૃચ્છા કરી સંતોષ માન્યો, તો અમુકે મેણા પણ સંભળાવ્યા. છોકારાવે એ બધું સાંભળીને સાચવ્યું. ને પછી ફરી શિવમંદિરે ભેગાં થયાં. ત્યાં બધાએ પોતાનો અનુભવ વહેંચ્યો. રામપરાના સ્થાનિક મિત્રો હિતેષ અને વિપુલે ખંતથી બધું ઉપાડી લીધું. રિંકલ અને તેની બહેન પણ અમે ગામમાં છીએ જાણીને મળવા દોડી આવ્યાં. આ સફાઈનો કાર્યક્રમ અને તેનાં પ્રતિભાવોથી પરવારીને પછી અમે એક પીપળા નીચે વર્ગ શરુ કર્યો.
             દ્વિતીય વર્ષના મિત્રો સાથે આખ્યાન સ્વરૂપની ચર્ચા કરી. મનોરંજનના સબળ માધ્યમ તરીકે આખ્યાન કેવું પ્રચલિત હતું ? તેની શું વિશેષતા છે ? તેમજ એ સ્વરૂપનો સામાન્ય પરિચય મેળવ્યો અને પછી કુંવરબાઈના મામેરાનાં પ્રચલિત કથાનકની ચર્ચા કરી.
           તૃતીય વર્ષના મિત્રો સાથે આપણા અગાઉના આયોજન મુજબ 'બારી બહાર' કાવ્ય ભણવાનો મનસૂબો હતો. પણ પીપળાનું ઝાડ, ઘેલાનો કિનારો એ કવિતા માટે યોગ્ય લોકેશન ન ગણાય, એમ વિચારી અમે 'વાતો' કાવ્ય ભણ્યાં. આ પણ એક સોનેટ સ્વરૂપની જ રચના છે. લગભગ તમે સૌ હાજર જ હતાં, પણ ફરી માણવા માટે :

હજુ ધીમે ધીમે, પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે :
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.

હજુ ધીમે ! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો કે’શે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.

અને કૈં તારા, જો, નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે, જો, જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શદે પ્રણયરસ તે સર્વ ઝીલવા.

પછી તો ના વાતો : પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હૃદયમાંહી શમી જતો.

પીપળાના વૃક્ષની નીચે, ઉપર બોલતાં પક્ષીઓને માંડ સંભળાય અને પાછળની શાળાની બારીઓમાંથી ડોકાતાં ટાબરિયાઓને ન સંભળાય, એમ અમે આ કાવ્ય માણ્યું. આવી રીતે બધાં કાવ્યો ભણવા માટેની ખાસ જગ્યા પણ અભ્યાસક્રમ સાથે નક્કી થવી જોઈએ અને માસ્તરે ત્યાં જ જઈને વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ, તો કેવી મજા પડે નૈ ? જો કે એવી ફરજ ન પાડવી જોઈએ, પણ આપણને અનુકૂળતા હતી એટલે ભણ્યાં, તો જલસો તો પડ્યો જ. કાલે ફરી રામપરામાં જ ભણીશું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો